વાસ્તનજી મહાદેવનું મંદિર આબુરાજ પર્વતમાળામાં ગુરુશીખરની નીચેના ભાગે ઇશરા ગામમાં આવેલ અતિ પૌરાણિક મંદિર છે.આબુરોડથી સ્વરૂપગંજ તરફ જતા ડાબી બાજુએ અંદાજે 20 કિમી જેટલું અંદર ઇશરા ગામ આવેલ છે.
આ અતિ પૌરાણિક મંદિરની જગ્યામાં શમશેરગિરિજી મુની મહારાજે કઠોર તપ કરેલ છે.અહીં મુની મહારાજની પ્રતિમા જોવા મળે છે , આ પ્રતિમા મેં જોયેલ અન્ય પ્રતિમાઓ કરતા થોડી વિશિષ્ટ પ્રકારની દેખાવમાં છે.મુની મહારાજનું મુખ થોડું ડાબી બાજુએ ઢળેલું જોવા મળે છે.
સ્થાનિક પૂજારીજી જોડે સંવાદ કરતા જાણવા મળ્યું કે એક જ સ્થાને ભગવાન મહાદેવજી અને વિષ્ણુજીની પ્રતિમા જોવા મળતી હોય એવું આ એકમાત્ર પ્રાચીન મંદિર છે.અહી એક નાની ગુફામાં પ્રવેશ કરતા જ અવિસ્મરણીય અનુભવ થાય છે . આ મંદિરમાં પહેલા શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ વિષ્ણુજીની પૂજા કરાય છે.આ સાથે જ ગરુડ ભગવાનની પ્રતિમા પણ જોવા મળે છે . આ મંદિર ખરેખર અજોડ છે.
પૌરાણિક વાર્તા પ્રમાણે ભગવાન શિવજી એ 33 કરોડ દેવી દેવતાઓને આ સ્થળે આમંત્રણ આપીને બોલાવ્યા હતા.બધા જ દેવતાઓ અહીં આવ્યા હતા ભગવાન શિવ દ્વારા સૌની આગતા સ્વાગતા થઈ અને એકી સાથે આટલા બધા દેવી દેવતાઓના આવતા ધરતી માં માટે અહીંનો ભાર ઉચકો કઠિન થતા ભગવાન વિષ્ણુજી દ્વારા તેમના નાગને આ જગ્યાનો ભાર ઉચકવાનું કહેતા ધરતી માં ને ભાર ઉચકવમાં રાહત થઈ હતી એના પરથી એવું કહેવાય છે કે આ મંદિર નાગની ફેણ પર બનેલું છે.
વિશાલ પહાડથી ઘેરાયેલ આ ચમત્કારી મંદિર ચોમાસાની ઋતુમાં પૂરબહારમાં દીપી ઉઠે છે , ચારેકોર જોવા મળતી વનરાજી મનને ટાઢક આપે છે.આ સાથે જ પથ્થરો વચ્ચે વહેતા ખળખળ ઝરણાં એક આહલાદક અનુભવ કરાવે છે.
આ ઉપરાંત સાધુ મહાત્માઓ માટે તપ કરવા માટેની ગુફા ત્યાં જોવા મળે છે.અહીં આબુરાજ પર્વતની પરિક્રમાંનું એક અલગ જ મહત્વ છે.
જય આબુરાજ....