કેટલીક ગઝલ વાંચતાવેંત સીધી જ દિલમાં વાસો કરી જતી હોય છે. જોઈ લ્યો આ ગઝલ જ. #અનુસંધાનમાં – નિનાદ અધ્યારુ એટલું માંગી લીધું વરદાનમાં, કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં ! આમ તો ફરતો નથી ગુમાનમાં, આ તો તું આવી ને, એના માનમાં ! એમ પીડાઓ મજા કરતી રહી, જાણે આવી હોય મારી જાનમાં ! સાવ તાજા જન્મેલા એક બાળકે- આખી હોસ્પિટલને લીધી બાનમાં ! જીવ વિના પંડ એવું લાગતું, શેઠ જાણે છે જ નહિ દુકાનમાં ! ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં, જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં ! આમ પહેલા પાને ના શોધ્યા કરો, હું મળીશ તમને અનુસંધાનમાં ! ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં, કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ? યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’, જેમ કાથો રંગ પકડે પાનમાં. – નિનાદ અધ્યારુ