Tuesday 14 December 2021

ગીતા જયંતી

ગીતા જયંતી માગશર સુદ અગિયારસ एकं शास्त्रं देवकीपुत्र-गीतम्

યુદ્ધ મેદાનની મધ્યમાં પોતાના જ સ્વજનોને સામે જોઇને જ્યારે શ્રેષ્ઠ યોદ્ધા અર્જુન મોહ,સંશય અને શોક ગ્રસ્ત થઈને બોલે છે કે યુદ્ધ નહીં કરુ ત્યારે રથ ના સારથી એવા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આવા કસમયે ઉત્પન્ન થયેલ મોહ અને શોક ત્યજીને પોતાના નિયત કર્મ અને કર્તવ્ય કરવા પ્રેરે છે , બંને વચ્ચેનો આ સંવાદ એટલે ભગવદ્ ગીતા . કુલ 700 શ્લોકમંથી 575 શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાય છે .  

 અધ્યાય 2 ના ત્રીજા શ્લોક માં क्षुद्रं हृदयदौर्बल्यं, त्यत्तवोतिष्ठ परंतप હૃદયની દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા થી શરૂ કરીને અધ્યાય 18 ના શ્લોક 63 માં ભગવાન કહે છે આ ગોપનીય થી અતિ ગોપનીય જ્ઞાન મે તને કહી દીધું હવે તું यथेच्छसि तथा कुरु તારી રીતે વિચારીને જેમ ઈચ્છે એમ કર 

અને અંતમાં આ મારાથી નહિ થાય થી શરૂ થયેલ આ સંવાદ બાદ અર્જુન કહે છે આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે , સ્મૃતિ મેળવી લીધી છે અને હું સંશય રહિત થઈને સ્થિત છું માટે करिष्ये वचनं तव આપની આજ્ઞાનું પાલન કરીશ.


જય શ્રી કૃષ્ણ

Thursday 25 November 2021

દશા મારી અનોખો લય - અમૃત ઘાયલ

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!

નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!

નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.

ફરક કેવો દીવાનાની જવાની ને જઈફીમાં?
બરાબર આજ જેવી આગવી એ કાલ રાખે છે.

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!

– અમૃત “ઘાયલ”

Monday 2 August 2021

No short cut for success and hard work , continous efforts is primery objective.

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

દલપતરામ

Wednesday 9 June 2021

કુંડેશ્વર મહાદેવ મંદિર , આબુરાજ

કુંડેશ્વર મહાદેવ , માઉન્ટ આબુના ગુરુ શિખરની નીચેના ભાગે , ઊત્રજ ગામ થી નજીક આવેલ આ પૌરાણિક મહાદેવજીનું સ્થાનક છે.અહી આસ્થા સાથે પ્રકૃતિના દર્શન થાય છે. આબુરાજ પર્વતમાં આવેલ આ મંદિર જવા માટે અસવા,ઉડવારિયા થઈને અંદાજે 7 કિમી જેટલા જંગલ વિસ્તારમાંથી જતા આ પવિત્ર મંદિર આવે છે.મંદિરની આસપાસમાં નાના ઝરણાં તેમજ ધોધ સાથે સાથે અનેક પ્રકારની વન ઔષધિઓ અહીંયા જોવા મળે છે.મોટા મોટા ઝાડ તેમજ પથ્થરો થી ઘેરાયેલું આ મંદિર જીવ ને શિવ સાથે મેળવે છે. આબુરાજમાં વસતા સાધુ મહાત્માઓના તપથી આ સ્થાનક પવિત્ર થયેલ છે. આસપાસના લોકો માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે.પક્ષીઓના કલરવ અને વાનર સેનાની હુપાહુપથી આસપાસનું વાતાવરણ મનમોહક બની રહે છે.

કુંડેશ્વર મહાદેવ અહી શ્રદ્ધાની સાથે પ્રકૃતિનું સૌંદર્ય અનુભવાય છે.

Tuesday 12 January 2021

રાષ્ટ્રીય યુવા દિન : ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન


૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને કર્મયોગી એવા યુગદૃષ્ટા સ્વામી વિવેકનંદજીનો જન્મદિન.

૧૨ જાન્યુઆરી , રાષ્ટ્રીય યુવા દિન. સન ૧૮૫૭માં  અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે જ્યારે આ દેશના અનેક યુવાન ક્રાંતિકારીઓ ઝઝૂમી રહ્યા હતા ત્યારે ૧૮૬૩માં કલકત્તામાં આજના દીને માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દતને ત્યાં જન્મેલા દિવ્ય મહામાનવ નરેન્દ્ર  જેમને સૌ સ્વામી વિવેકનંદજીના નામે જાણે છે.

બાળપણથી જ ધાર્મિક અને આધયાત્મિક વાતાવરણમાં મોટા થયેલ નરેન્દ્રમાં ત્યાગ અને માનવતા ગુણો વિકસ્યા હતા. તેમણે નાની વયે જ રામાયણ , મહાભારત,વેદ અને પુરાણોનો ગહન અભ્યાસ કર્યો હતો.

સંત રામકૃષ્ણ પરમહંસના સંપર્કથી એમની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ.રામ કૃષ્ણ પરમહંસના તેઓ  શિષ્ય બની ગયા.માત્ર ૩૯ વર્ષની ટૂંકી જીવનયાત્રા દરમ્યાન એમણે કેટ કેટલું કાર્ય કરી બતાવ્યું ! હિંદુ ધર્મને જગતના અન્ય ધર્મોની હરોળમાં મુકીને વિશ્વ સમક્ષ હિંદુ ધર્મ,એના  સિધાંતો ,વેદાંત અને યોગ ઉપર પ્રવચનો કરીને આ વિષયના પ્રખર ચિંતક તરીકેની ખ્યાતિ  મેળવી. એમના ગુરુ રામ કૃષ્ણ પરમહંસ ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬ ના રોજ ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.એમની યાદગીરીમાં એમણે  રામકૃષ્ણ મિશનની અને રામકૃષ્ણ મઠની સ્થાપના કરી.આ બન્ને સંસ્થાઓ આજે પણ સક્રિય છે .

૧૧મી સપ્ટેમ્બર થી ૨૭મી સપ્ટેમ્બર ,૧૮૯૩ માં તેમણે શિકાગોની ધર્મપરિષદમાં ભારતનું પ્રતિનધિત્વ કર્યું હતું. ૧૧ મી સપ્ટેમ્બર ના રોજ
ધર્મ સંસદમાં આપેલું એમનું પ્રવચન આજે પણ હિન્દુ ધર્મ અંગે જગતને પરિચય કરાવનાર એક સીમાચિહ્ન રૂપ પ્રવચન તરીકે પ્રખ્યાત છે.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને  “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે પ્રવચન શરૂ કર્યુ. આ શબ્દો માટે હોલમાં બેઠેલી ૭૦૦૦ની મેદનીએ ઉભા થઈને બે મીનીટ સુધી તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ . પોતાના આ વક્તવ્યમાં સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુ કે  “વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.

આ પ્રવચનમાં તેમણે ભગવદ્ ગીતાના શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો.જેમાં 
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः।।4.11।।  અર્થાત્  જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે , તે પ્રમાણે જ હું તેમને ફળ આપુ છું.માટે હે પાર્થ સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે.

येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयाऽन्विताः।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्।।9.23।। અર્થાત્ જે મનુષ્યો અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વક ની હોય છે.

આ વક્તવ્ય ટૂંકું હોવા છતાં, ગીતાનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ખરા દિલની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી અને એટલે જ આજે બધા એને યાદ કરે છે. અને ૧૧ મી સપ્ટેમ્બર ને દિગ્વિજય દિન તરીકે ઉજવાય છે.

  જુલાઈ ૪,૧૯૦૨ ના રોજ ૩૯ વર્ષની નાની વયે એમણે પ્રાણ ત્યાગ કર્યો.ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજીએ દેશના યુવાનોને જાગૃત કરવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

અંતમાં,  કઠોપનિષદના શ્લોક उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥ અર્થાત્ ઉઠો જાગો ને જ્ઞાનીજનો પાસે જાવ અને તેમની પાસેથી બોધ કે જ્ઞાન મેળવો.આ જ્ઞાનનો માર્ગ  તીવ્ર છરીની ધારસમો  કઠિન છે  એવું ઋષીજનો કહે છે.

રાષ્ટ્રીય યુવા દિનની શુભેચ્છાઓ..

Photo: Re संस्कृत

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...