#ગીતા_જયંતિ માગશર સુદ અગ્યારસ એટલે મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી . આ દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના મુખથી ગીતા જ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે.
ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે. કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં બે પ્રચંડ સેનાઓની મધ્યમાં ફક્ત ૪૫ મિનિટમાં ભગવાને આ જ્ઞાન અર્જુનને આપ્યું હતું . ભગવદગીતા સમજવા માટે વિદ્વાન હોવું એવી કોઈ લાયકાત નથી , ગીતામાં જ ચોથા અધ્યાયમાં ભગવાન જણાવે છે :
भक्तः असि मे सखा च इति रहस्यम् हि एतत् उत्तमम् ॥ " તું મારો ભક્ત છે અને મિત્ર છે તેથી આ ઉત્તમ રહસ્ય હું તને જણાવું છું.
'एकं शास्त्रं देवकीपुत्र गीतं' - શાસ્ત્ર એક જ છે , જેનું ગાયન દેવકીપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ એ કર્યું.
ગીતામાં સૌથી વધુ શ્રીકૃષ્ણ બોલ્યા છે. તેમણે 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન દ્વારા મોહ અને વિષાદથી ગ્રસ્ત એવા નિરાશ અર્જુનનો મોહભંગ ભગવાન કરે છે.
અંતમાં,અધ્યાય ૧૮ ના શ્લોક ૬૩ માં ભગવાને અર્જુનને કહે છે કે આ અતિ ગૂઢ જ્ઞાન મે તને આપ્યું છે પરંતુ હવે તું તારી ઈચ્છા હોય તેમ કર यथेच्छसि तथा कुरु . એટલે કે પરમાત્મા પણ અર્જુનની સ્વતંત્રતા માં હસ્તક્ષેપ કરતા નથી.
ભગવદ્ ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની પૃચ્છા થી થયો. ભીષ્મ , દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓની સહાયથી પોતાના પુત્રો આ યુદ્ધ જીતશે તેવી તેને આશા હતી પરંતુ યુદ્ધ ક્ષેત્રના દૃશ્યનું વર્ણન પૂરું કર્યા પછી સંજયે રાજાને કહ્યું ,
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥
- જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને ધનુર્ધર અર્જુન છે , ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે એવો મારો મત છે.