જેસોર ગિરિમાળા - કરનેશ્વર મહાદેવ, બદ્રીનાથજી મંદિર

ડુંગરા સો પરમેશ્વરા .અમીરગઢ નજીકની જેસોરની ગિરિમાળા એટલે તપ અને તપસ્વીઓની ભુમી. પૂજ્ય ડુંગરપુરીજી મહારાજ ,પૂજ્ય શિવગીરીજી બાપુ થી શરૂ કરીને વર્તમાનમાં પૂ. મુનિજી મહારાજ,પૂ.કાલા બાપજી ,પૂ.ચંદનગીરી જેવા સંતોની ભુમી. આ પર્વતમાળા આજે ય સાધુ સંત મહાત્માઓ તપ અને યોગ સાધના કરી રહ્યા છે જેઓનાં દર્શન માત્રથી પાવન થઈ જવાય. આ સંત મહાત્માઓ દ્વારા થઈ રહેલા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની સુવાસ આ વિસ્તારમાં અનુભવાય છે.તેઓની પ્રેરણા નીચે અનેક મંદિર બની રહ્યા છે જેમાનું એક મંદિર એટલે માનપુરીયા નજીક ટેકરી ઉપર આવેલું કરણેશ્વર મહાદેવ અને બદ્રીનાથજી નું મંદિર.

એક નાના પાણીના વહેળમાંથી પસાર થયા બાદ ટેકરી પરની ગુફામાં બિરાજેલા આ કરણેશ્વર મહાદેવજીનું મંદિર ખૂબ જ પ્રાચીન જણાય છે.ત્યાં એક વેરી (વાવ) છે . એવી લોકવાયકા છે કે આ વેરી મતલબ વાવ માંથી ગમે તેવા દુકાળના દિવસોમાં પણ પાણી ઓછું થતું નથી જાણે કે સ્વયંભૂ માં ગંગા. આ મીઠા પાણીની પવિત્ર વેરી આ વિસ્તારના લોકો માટે પણ પૂજનીય છે. ઉપરાંત ત્યાં એક પથ્થરની શીલા સ્વયં ગોગ મહારાજની અનુભૂતિ કરાવે છે.
ત્યારબાદ બદ્રીનાથજી નું સુંદર મંદિર નિર્માણ પામીને તૈયાર છે.કોરોનાને કારણે તેમની પ્રાણપ્રતિષ્ઠા હવે થશે. આ મંદિર તેના નકસી કામને લીધે વધુ સુંદર દેખાય છે.

આજુબાજુમાં ઘેઘુર વૃક્ષો અને પર્વતથી ઘેરાયેલ આ પવિત્ર જગ્યા શાંતિનો અહેસાસ કરાવે છે. મોરના ટહુકા અને પક્ષીઓના કલરવ વચ્ચે પરમ તત્વનો અનુભવ થયા વગર રહે જ નહીં. 

આ મંદિરના સાધુ પણ એટલા જ માયાળુ અને પ્રેમાળ.આસપાસના લોકોની આસ્થાનું કેન્દ્ર. મંદિરના સેવકભાઇ જોડે રહીને દર્શનની સાથે જાણકારી પુરી પાડે. પછી જાતે કાળી ( ઉકાળો) બનાવીને અને મંદિરની બાજુમાં ઉગાડેલ વનસ્પતિઓ એમાં ઉમેરીને લિજ્જતદાર કાળી પીવડાવી.આવા અદભુત અને પ્રાચીન મંદિરની મુલાકાત કાયમી સંભારણું બની રહે.

સંગઠનીય પ્રવાસની સાથે પ્રકૃતિ અને પરમતત્વનો અહેસાસ ખરેખર આહલાદક ......

Comments

Popular posts from this blog

Expiry Date - સમય કે સાથ ભી , સમય કે બાદ ભી

Succes

કુંડેશ્વર મહાદેવ મંદિર , આબુરાજ