Friday 12 January 2024

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન. 
ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી
૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને કર્મયોગી એવા યુગદૃષ્ટા સ્વામી વિવેકનંદજીનો જન્મદિન.

૧૨ જાન્યુઆરી , રાષ્ટ્રીય યુવા દિન. સન ૧૮૫૭માં  અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે જ્યારે આ દેશના અનેક યુવાન ક્રાંતિકારીઓ ઝઝૂમી રહ્યા હતા ત્યારે ૧૮૬૩માં કલકત્તામાં આજના દીને માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દતને ત્યાં જન્મેલા દિવ્ય મહામાનવ નરેન્દ્ર  જેમને સૌ સ્વામી વિવેકનંદજીના નામે જાણે છે.

બાળપણથી જ ધાર્મિક અને આધયાત્મિક વાતાવરણમાં મોટા થયેલ નરેન્દ્રમાં ત્યાગ અને માનવતા ગુણો વિકસ્યા હતા. તેમણે નાની વયે જ રામાયણ , મહાભારત,વેદ અને પુરાણોનો ગહન અભ્યાસ કર્યો હતો.

સંત રામકૃષ્ણ પરમહંસના સંપર્કથી એમની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ.રામ કૃષ્ણ પરમહંસના તેઓ  શિષ્ય બની ગયા.માત્ર ૩૯ વર્ષની ટૂંકી જીવનયાત્રા દરમ્યાન એમણે કેટ કેટલું કાર્ય કરી બતાવ્યું ! હિંદુ ધર્મને જગતના અન્ય ધર્મોની હરોળમાં મુકીને વિશ્વ સમક્ષ હિંદુ ધર્મ,એના  સિધાંતો ,વેદાંત અને યોગ ઉપર પ્રવચનો કરીને આ વિષયના પ્રખર ચિંતક તરીકેની ખ્યાતિ  મેળવી. એમના ગુરુ રામ કૃષ્ણ પરમહંસ ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬ ના રોજ ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.એમની યાદગીરીમાં એમણે  રામકૃષ્ણ મિશનની અને રામકૃષ્ણ મઠની સ્થાપના કરી.આ બન્ને સંસ્થાઓ આજે પણ સક્રિય છે .

૧૧મી સપ્ટેમ્બર થી ૨૭મી સપ્ટેમ્બર ,૧૮૯૩ માં તેમણે શિકાગોની ધર્મપરિષદમાં ભારતનું પ્રતિનધિત્વ કર્યું હતું. ૧૧ મી સપ્ટેમ્બર ના રોજ
ધર્મ સંસદમાં આપેલું એમનું પ્રવચન આજે પણ હિન્દુ ધર્મ અંગે જગતને પરિચય કરાવનાર એક સીમાચિહ્ન રૂપ પ્રવચન તરીકે પ્રખ્યાત છે.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને  “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે પ્રવચન શરૂ કર્યુ. આ શબ્દો માટે હોલમાં બેઠેલી ૭૦૦૦ની મેદનીએ ઉભા થઈને બે મીનીટ સુધી તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ . પોતાના આ વક્તવ્યમાં સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુ કે  “વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.

આ પ્રવચનમાં તેમણે ભગવદ્ ગીતાના શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો.જેમાં 
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः।।4.11।।  અર્થાત્  જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે , તે પ્રમાણે જ હું તેમને ફળ આપુ છું.માટે હે પાર્થ સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે.

येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयाऽन्विताः।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्।।9.23।। અર્થાત્ જે મનુષ્યો અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વક ની હોય છે.

આ વક્તવ્ય ટૂંકું હોવા છતાં, ગીતાનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ખરા દિલની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી અને એટલે જ આજે બધા એને યાદ કરે છે. અને ૧૧ મી સપ્ટેમ્બર ને દિગ્વિજય દિન તરીકે ઉજવાય છે.

  જુલાઈ ૪,૧૯૦૨ ના રોજ ૩૯ વર્ષની નાની વયે એમણે પ્રાણ ત્યાગ કર્યો.ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજીએ દેશના યુવાનોને જાગૃત કરવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

અંતમાં,  કઠોપનિષદના શ્લોક उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥ અર્થાત્ ઉઠો જાગો ને જ્ઞાનીજનો પાસે જાવ અને તેમની પાસેથી બોધ કે જ્ઞાન મેળવો.આ જ્ઞાનનો માર્ગ  તીવ્ર છરીની ધારસમો  કઠિન છે  એવું ઋષીજનો કહે છે.

રાષ્ટ્રીય યુવા દિનની શુભેચ્છાઓ..

Saturday 30 September 2023

નરેન્દ્ર મોદી

चित्ते वाचि क्रियायांच साधुनामेक्रूपता ।।
- साधु पुरुषो के मन, वचन व कर्म में समानता होती है.। 
   કંઈ એમ જ મોદી નથી થવાતું. સાહેબ હી સાહેબ હૈ. જન અને જનમાનસ બંને Connect કરતા જનપ્રિય જન્સેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબનું આજે અંબાજી RoadShow દરમ્યાન સ્થાનિકો દ્વારા જે રીતે સ્વાગત અભિવાદન થયું એ ખરેખર હૃદયસ્પર્શી છે. 

જ્યાં વકતૃત્વ અને કર્તુત્વ બંને સમાન હોય ત્યાંરે જ જન , જનતા અને જનમાનસ પર પ્રભુત્વ પ્રાપ્ત થાય છે.
 
જ્યારે જ્યારે નરેન્દ્રભાઇ મોદીજીને મળતો પ્રેમ જોઈને विष्णु सहस्त्रनाम श्लोक १३ નો भीष्म युधिष्ठिर संवाद સ્મરણમાં આવી જાય.
अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकघृक ।
सुमधा मेधजो धन्यः सत्यमेघा धराधरः ।। 

- जिसे स्वयं के सम्मान की चिंता नहीं जो दूसरों का सम्मान करता है। इसी कारण सर्वमान्य होता है। वही समाज का नैतिक नेतृत्व प्राप्त करता है। ऐसे कार्यकर्ता मेधावी, धन्य, अपनी बात को योग्य रूप से रखने वाला तथा पृथ्वी की भांति सब को संभालने वाला होता है।

- કૃણાલ ભટ્ટ, પાલનપુર 

#વિકાસનો_વિશ્વાસ

Thursday 15 September 2022

વાર્તા

એક બિલાડીને ખાવા માટે ખીર આપવામાં આવી. બિલાડી ખીર ખાવાજ જતી હતી ત્યાં જ તેણે પાંજરામાં પકડાયેલા ઉંદરને જોયો. બિલાડીએ ખીર પડતી મૂકી અને પાંજરાની આજુબાજુ ફરવા લાગી. સહજ રીતે ખીર મળતી હતી તોય તેણે ઉંદર પર ઝપટ મારવાનો લોભ કર્યો. એવામાં એક કૂતરો સામેથી આવતો જોયો. હવે બિલાડીને જીવ બચાવ્યા સિવાય છૂટકો નો'તો. ના ઉંદર મળ્યો ના ખીર ! અને જીવ બચાવવા ત્યાંથી ભાગવું પડયું. સરળતાથી મળતું હોય તેને અવગણીને લોભમાં પડવાથી મળેલુંય જતું કરવું પડે છે.

Wednesday 24 August 2022

બનાસ નદી, બનાસકાંઠાની લોકમાતા

Banas River

રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી… 

બનાસકાંઠાની લોકમાતા , આપણી બનાસ

અજાણ્યાં અદ્ભુત રહસ્યોને
પોતાના ઉદરમાં વહન કરનારા
એ મહાસાગરો કરતાં તો
મને વહાલી લાગે છે,
મારી ઓળખીતી-પાળખીતી નદી '' બનાસ '' ...

બનાસ લોકોની આશા,
 વહેતી બે કાંઠે નદી પર્ણાશા....
  
   રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. બનાસ નદી(પર્ણાશા) કુંવારિકા છે. 
બનાસકાંઠામાં ઊતરી કચ્છના રણમાં પથરાઈ જાય છે. 

     પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી.મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે.

भारतवर्षस्थनदीपर्वतदेशानां विस्तरेण कथनम् ॥ 1 ॥
 वे लोग यहां की जिन बड़ी-बड़ी नदियों के जल पीते हैं, उनके नाम बतात हुं, सुनिये

सुनसां तमसां दासीं वसामन्यां वराणसीम् ।
नीलां धृतवतीं चैव पर्णाशां च महानदीम् ॥ 6-9-31। ( ભીષ્મ પર્વ )

सुनसा, तमसा, दासी, वसा, वराणसी, नीला, धृतवती, महानदी पर्णाशा राजन्! ये तथा और भी बहुत-सी नदियां हैं। 

वरुणस्यत्मजो वीरः स तु राजा श्रुतायुधः।
पर्णाशाजननी यस्य शीततोया महानदी॥ 7-92-44 ( દ્રોણ પર્વ )

वरुण देव ने जैसा कहा था, युद्ध भूमि में श्रुतायुध की उसी प्रकार मृत्‍यु हुई। वे सम्‍पूर्ण धनुर्धरों के देखते-देखते प्राणशून्‍य होकर पृथ्‍वी पर गिर पड़े।गिरते समय पर्णाशा के प्रिय पुत्र श्रुतायुध आंधी के उखाड़े हुए अनेक शाखाओं वाले वृक्ष के समान प्रतीत हो रहे थे।

વરસે તો ઘોડાપૂર
બાકી ના મળે નુર.... 

જય લોકમાતા '' બનાસ ''...

- કૃણાલ ભટ્ટ

#Banas

Tuesday 23 August 2022

આપણી આદત

 છેલ્લા બે વરસથી વરસાદ પડયો નોતો. છતાં ઉનાળો ઉતરતાં જ એક ખેડૂત પોતાનું ખેતર ખેડી રહ્યો હતો. એ વખતે નારદમુનિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે જોયું કે પાંચ વરસ સુધી વરસાદ પડવાનો નથી એવી આગાહી થઈ હોવા છતાં આ ખેડૂત પોતાની જમીન ખેડી રહ્યો હતો. તેમણે જઈને ખેડૂતને પૂછયું- ''ભાઈ, તને ખબર છે કે હજુ ત્રણેક વરસ વરસાદ પડવાનો નથી એવી આગાહી થયેલી છે છતાં તુ આટલા આકરા તાપમાં નકામી મહેનત શા-માટે કરી રહ્યો છે ?'' ત્યારે ખેડૂતે કહ્યું ''નારદજી, તમારી વાત તો સાચી છે, પણ એ તો આગાહી કહેવાય. એક જાતની સૂચના કહેવાય ! સાચી પડેય ખરી-ના પણ પડે ! એમ વરસાદની રાહ જોઈને બેસી રહું તો-મારા આ હળને કાટ લાગી જાય. બળદો ખીલે ૂબંધાઈને બેઠા બેઠા આળસુ થઈ જાય. અને મારાં બાવડાંય રોજના અભ્યાસ વગર નબળાં થઈ જાય. હું તો મારી આદત પ્રમાણે ખેડવાનું કામ કરીશ પછી જેવી હરિની ઈચ્છા.'' નારદજી ત્યાંથી સીધા પહોંચ્યા દેવોના રાજા ઈન્દ્ર પાસે. તેમણે ખેડૂતના પુરૂષાર્થની વાત કરી. ઈન્દ્રએ પણ વિચાર્યુ. ''જો ધરતી પરનો એક ખેડૂત આદત પ્રમાણે તેનું કર્મ કરતો હોય તો મારે પણ મારા મેઘગણોને વાદળો બાંધી વરસવાની આદત યાદ અપાવવી પડશે. એ એમનો અભ્યાસ ભૂલે એ પહેલાં એમને વરસવાની આજ્ઞાા આપી દેવી પડશે.'' અને એવું જ થયું. જ્યાં દુકાળ પડવાનો હતો ત્યાં અમી વર્ષા થઈ ગઈ. આદત સામે આગાહી ખોટી પડી.


Wednesday 10 August 2022

વટેશ્વર મહાદેવ , સિદ્ધપુર

 વટેશ્વર મહાદેવ ,  સિદ્ધપુરથી ૬ કિમી દૂર દેથળી ગામે પૌરાણીક સ્વયંભૂ વટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે આધુનિક સુવિધા સજ્જ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. 
આ સ્થાનકે દધિચી ઋષિમુનિનું પ્રાચીન મૂર્તિ‌ સાથેનું મંદિર આવેલું છે. સાથે જ પવિત્ર સૂર્યકુંડ તેમજ પાંડવોનું આશ્રય સ્થાન આવેલું છે હજારો વર્ષ પૂર્વે અહીં દધિચી ઋષિએ તપ કર્યું હતું. અહીં પાંડવોના ગુપ્તવાસ દરમિયાન મહર્ષિ‌ વેદવ્યાસે બોધપાઠ આપ્યો હતો પાંડવો લક્ષાગ્રહમાંથી નીકળી દેથળી સરસ્વતી નદીને કિનારે આવેલ વટેશ્વર મહાદેવના સ્થાનકે આવ્યા હતા. અહીં પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી અને પાંચ ગુફાઓ બનાવી હતી. જે આજે પણ હયાત છે. જેમાં દ્રૌપદી અને કુંતામાતાનું દેવાલય આવેલુ છે.



Friday 5 August 2022

ક્રોધ

એકવાર શ્રીકૃષ્ણ બલરામ અને કૃષ્ણનો સારથિ સાત્યકિ ગાઢ જંગલમાં ભૂલા પડયા. સાંજ પડી ગઈ હતી. રાત્રિનો અંધકાર ફેલાઈ ગયો હતો. ત્રણેય થાકી ગયા હતા. એમણે એક વિશાળ વૃક્ષ નીચે રાત પસાર કરવાનો નિશ્ચય કર્યો. અને નક્કી કર્યું કે બે જણ આરામ કરશે અને એક જણ રક્ષા કરશે. પહેલો પ્રહર વીતી ગયો હતો. શ્રીકૃષ્ણ અને બલરામ ઊંઘી ગયા ત્યારે સાત્યકિએ રક્ષણની જવાબદારી લીધી. અંધકાર ઘેરાતો હતો. તમરાં બોલતાં હતાં. થોડીવારે સાત્યિક સામે એક પિશાચ (અવગતિયો જીવ, પ્રેત) પ્રગટ થયો. તેણે અટ્ટહાસ્ય કરીને સાત્યકિનું ભક્ષણ કરવા હુમલો કર્યો. જો કે સાત્યકિ તૈયાર હતો. પણ તે જેટલો વધારે ક્રોધ કરીને પિશાચને ભીડવા પ્રયત્ન કરતો એટલો એનો આકાર વધતો જતો. એની તાકાત વધતી જતી. પિશાચ સાત્યકિને ઘાયલ કરીને અચાનક અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી બલરામજીનો વારો આવ્યો. બલરામજીનો સ્વભાવ આમેય ગુસ્સાવાળો હતો. એમની સામેય પિશાચ પ્રગટ થયો અને એમનું ભક્ષણ કરવા હુમલો કર્યો. બલરામજી સાથે પિશાચ બરાબર ઝૂઝવા લાગ્યો. બલરામનો ક્રોધ વધી ગયો. પણ જેમ જેમ ક્રોધ વધતો ગયો એમ એમ પિશાચનું કદ અને બળ વધવા લાગ્યું. બલરામજીના શરીરે ઉઝરડા પાડીને પિશાચ ફરી અદૃશ્ય થઈ ગયો. છેલ્લા પ્રહરમાં છેવટે શ્રીકૃષ્ણનો વારો આવ્યો. શ્રીકૃષ્ણની સામે પણ પિશાચ ભયંકર રૂપ ધારણ કરીને પ્રત્યક્ષ થયો. ઘેરા અવાજથી ડરાવવા લાગ્યો. 'થોડીક જ રાત બાકી છે. હવે હું તને મારીને તારૂં ભક્ષણ કરીશ. 'પિશાચ લડવા ઉતાવળો થતો હતો. જ્યારે શ્રીકૃષ્ણ શાંત હતા. મર્માળુ હસતા હતા. 'એમ ! તું તો ઘણો બહાદુર લાગે છે, તારામાં ઉત્સાહ પણ ગજબનો છે. 'શ્રીકૃષ્ણએ ગુસ્સે થયા વગર સહજ રીતે તેની સાથે વાત શરૂ કરી. પિશાચ જોતો જ રહ્યો. તેણે હિંમત કરી શ્રીકૃષ્ણને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો પણ શ્રીકૃષ્ણમાં રતીભાર ક્રોધ ના આવ્યો. હવે જેમ જેમ સમય પસાર થયો એમ એમ પિશાચનું કદ અને બળ ઘટવા લાગ્યું. પિશાચ ઘટી ઘટીને છેવટે એક મંકોડા જેટલો નાનો કીડો થઈ ગયો. શ્રીકૃષ્ણએ એને લૂગડાના કકડામાં બાંધી દીધો. સવાર થઈ. સાત્યકિ અને બલરામે રાત્રે પિશાચ સાથે બનેલી ઘટનાની વાત કરી. ત્યારે શ્રીકૃષ્ણએ લૂગડાની ગાંઠ છોડીને કહ્યું: 'જુઓ આ રહ્યો એ પિશાચ ! તમે બન્ને એને ઓળખી જ ના શક્યા. આ ક્રોધ છે. જેમ જેમ તમે ક્રોધ કરતા ગયા એમ એમ એ વધતો ગયો. આ જ ક્રોધનું સ્વરૂપ છે. જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ તેના મૂળ સ્વરૂપમાં શાંત રહે તો ક્રોધનું સ્વરૂપ સાવ ક્ષુલ્લક થઈ જાય છે.

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...